Sunday, February 25, 2024

ચંપકકાકા: “.... ઔર પરદે સે મંઝર બદલ જાતા હૈ!”

 


“उड़ के जाते हुए पंछीने देखा,

देर तक हाथ हिलाती रही शाख फिज़ा में

अलविदा कहेती थी या पास बुलाती थी उसे?

-    गुलज़ार सा’ब

અનુષ્કા, વામા, ઉરા, ધ્વનિત, રાહુલ, ધાન્વી, હીર.... આ એ બાળકોના નામ છે જેનો હું કાકા/મામા/માસા/ફૂવા થાઉં છું અથવા તો એમનાં મમ્મી/પપ્પાનો ખાસ દોસ્તાર છું. મને એમની પાસેથી પુષ્કળ પ્રેમ, પવિત્રતા અને ઉર્જા મળે છે અને એમને મારી પાસેથી વાત્સલ્ય, પુસ્તકો, રમકડાં અને તોફાન કરનાર દોસ્ત મળે છે. આ કુમળા છોડ ઉછરીને વૃક્ષ બનશે ત્યારે કદાચ એમને મારી સાથેની આ મધમીઠી પળો યાદ નહીં હોય પરંતુ મને અને એમનાં parents ને હશે. એટલે જ ટીનેજર્સ કે યુવાઓને વડીલો મળે ત્યારે એમ કહે કે “તું સાવ આવડો હતો/આવડી હતી” ત્યારે એમને એ ઉમળકો સમજાય નહીં અને કંટાળો પણ આવે પણ છોડને સીંચીને મોટો થયેલ જોવાની ખુશી તો એક ઉંમર પછી જ સમજાય.... અથવા તો એ વડીલ હાથ છોડાવીને જિંદગીની ટ્રેનમાંથી ઉતરી જાય ત્યારે સમજાય.

ના, એટલે અહીં મારે “બાગબાન” type કોઈ વડીલોની મહાનતાના ગુણગાન નથી ગાવા કેમ કે યુવા હોય કે વડીલ હોય કે બાળક, દરેકની વિશિષ્ટતાઓ અને મર્યાદાઓ હોય જ છે. કોઈને ભગવાન બનાવવાની જરૂર નથી, જરૂર છે બસ એમને એમની સંપૂર્ણતામાં સ્વીકારવાની અને ચાહવાની. (કદાચ એમાં હું અત્યંત કાચો છું.)

પ્રિયજન સાથેની યાદો એ હયાત હોય ત્યારે આપણને પ્રસન્નતા આપે અને ગયા પછી આપણી આંખો ભીંજવે એ સૌને ખ્યાલ છે. જો કે એ બેની વચ્ચેની ક્ષણ એટલે....

हाथ छूटे तो भी रिश्तें नहीं छोड़ा करते

    वक़्त की शाख से लम्हें नहीं तोड़ा करते!”

– गुलज़ार साब

જેની પાસે રમીને, બેસીને, વાતો સાંભળીને મોટા થયા હોઈએ એને નિશ્ચેતન અવસ્થામાં જોવા, એમને ખભે ઊંચકીને લઇ જવા અને અગ્નિને સમર્પિત કરવા એ ભલભલા કઠોર માણસને ય ચોધાર આંસુએ રડાવે જ. એવા જ એક સ્વજનને આજે મારે શબ્દાંજલિ આપવી છે.

ડૉ. જય મહેતા જયારે ફક્ત “ચિન્ટુ” તરીકેની ઓળખ ધરાવતો હતો ત્યારની આ વાત છે. મારા બા (દાદી) ના 04 દીકરાઓ અને 04 દીકરીઓ. એમાં મારા પપ્પા સૌથી નાના અને હું મારા તમામ cousins માં સૌથી નાનો. એટલે મને બા ઉપરાંત તમામ uncle-aunty નો સ્નેહ મળ્યો છે. કાળના પ્રવાહમાં અમે અમારા બા, ફઇ-ફૂવા, uncle, aunty અને 02 cousins ને પણ ગુમાવ્યા. 19 February એ અમે વધુ એક પ્રિયજન ગુમાવ્યા – શ્રી નટવરલાલ મોહનલાલ મહેતા (ચંપકભાઈ). આમ તો એ મોટા પપ્પા અથવા બાપુજી થાય પણ મને નાનપણથી એમને કાકા કહેવાની ટેવ એટલે એ જ સંબોધન જીભે ચડી ગયેલું. થોડા સમયથી બીમાર તો હતા જ પણ આમ અચાનક અલવિદા કહેશે એ ધાર્યું નહોતું. સાલું આપણે પણ એવું તે કેવું “વ્યસ્ત જીવન” જીવતા થઇ ગયા છીએ કે જયારે કોઈ હયાત હોય ત્યારે હાલચાલ પૂછવાની ફુરસત ન મળે પણ જયારે એ વિદાય લે ત્યારે એ “લેણદેણ તૂટ્યાનું શૂળ” ખૂંચે!

પપ્પાની નોકરી ભાવનગરમાં હોવાથી અમે ત્યાં રહેતાં પણ ત્રણે uncles અને ફઈનું ઘર અમરેલી હોવાથી “ઊંટનું મોં મારવાડ બાજુ” એ હિસાબે મારો આત્મા અમરેલી માટે જ ધબકતો રહ્યો છે. એટલે જ હું કહેતો કે મારા માટે ભાવનગર દેવકી છે તો અમરેલી યશોદા છે. આ ચારેય ઘરે હું ઉછરતો, પોષાતો રહ્યો છું. શરૂઆતમાં લખ્યું એમ એ દિવસો મને તો આછા-આછા યાદ હોય પણ એ સૌ માળીઓને તો મારા ઉગવાની યાત્રા નજર સમક્ષ હોય ને!

ચંપકકાકા અમરેલીની પ્રતાપરાય આર્ટસ કોલેજમાં Office Superintendent તરીકે ફરજ બજાવીને નિવૃત્ત થયેલા. મહેતા સાહેબ, JP, NM જેવા નામે લોકો એમને બોલાવતા. મારી કાલીઘેલી ભાષામાં હું એમને “ચમ્મત તાતા” કહેતો. અમરેલી ST ડેપોની પાછળ હાઉસિંગ બોર્ડ સોસાયટીમાં એમનું ઘર. નોકરીમાં વહીવટી કામગીરી સંનિષ્ઠ રીતે કરવા ઉપરાંત એમનો સાહિત્યપ્રેમ પણ નોંધનીય હતો. 2011 માં (13 વરસ પહેલાં) એમની મોટી દીકરી અને અમારી વ્હાલી બેન માનસીને કેન્સરની બીમારીએ અકાળે છીનવી લીધી હતી ત્યારપછી એ બાપ ક્યારેય સ્વસ્થ ન થઇ શક્યા. દીકરી પાસે જવાની ઉતાવળ હશે ને! કાકા, બેનને અમારો પ્રેમ આપજો ને અમને હિંમત અને આશિર્વાદ આપજો.

એ આખું ઘર આમ તો Fighter કહી શકાય. આવા સંજોગોનો સામનો કર્યો અને પોતાનાથી બનતું બધું જ કરી છૂટ્યાં! જુવાનજોધ દીકરીને બાપે મુખાગ્ની આપી અને બાપને નાની દીકરી-જમાઈ અને નિશાળીયા દોહીત્રોએ... એ દ્રશ્યોની તૂટેલ કરચો આંખમાં ખુંચે છે, હૈયું વલોવાઈ જાય છે ને મન વિક્ષિપ્ત થઇ જાય છે. જગજીત સિંઘના સ્વરમાં “હે રામ” ની ધૂન અને “ચિઠ્ઠી ના કોઈ સંદેશ” હવે હું સહન કરી શકતો નથી. ક્યારેક પરવરદિગાર મળશે તો જલન સાહેબના શેરથી એમને પૂછી લઈશ:-

“શાને પજવે છે અલ્લાહ, સીધો રે ને!

શું જોઈએ છે તારે, હાજર થઈને કે ને!”

જન્મ તેનું મૃત્યુ નિશ્ચિત છે. કર્મનો ખેલ છે. જીવન નાશવંત છે…” એ બધી સ્મશાન વૈરાગ્યની વાતો બોલવી-લખવી, વાંચવી-સાંભળવી બહુ આસાન છે પણ એ કાળમુખી ક્ષણો જીવવી અને જીરવવી દુષ્કર છે. કદાચ એટલે જ RIP, “ભગવાનને ગમ્યું તે ખરું” જેવી સાંત્વના ખોખલી લાગતી હોય છે. વીણાકાકી, બેન દર્શિની, ચેતનભાઈ, તીર્થ અને એમનો હાથ ઝાલીને સાથે રહેનાર મારો પરિવાર... I really love you all...!!! I wish I could do something for you guys.

ખાસ તો હું બેન દર્શિનીના દ્રષ્ટિકોણથી વિચારી શકું એમ છું તો મને થાય કે એના મનમાં કેવા સંવેદનાના સુનામી સર્જાયા હશે! બહેન અને બાપની બીમારી, એમને માટે બની શકે એ બધું જ કરી છૂટવાની ખેવના, પિતાની ઉંમરસહજ જીદ અને possessiveness, એમને પોતાનું અહિત કરતાં જોઇને પણ અટકાવી ન શકવાની લાચારી અને છેલ્લે... મધદરિયે પોતાની હથેળીમાંથી સરકતો પિતાનો હાથ....!!

ફિલ્મ “પીકુ” ની દીપિકાની જેમ જ આ બાપ-દીકરીની ખાટીમીઠી તકરારોનો હું સાક્ષી રહ્યો છું. Life has got to go on. જેમ સ્ટેશન પર ટ્રેન ઉભી રહે, મુસાફરો ઉતરી જાય અને થોડી ક્ષણો પછી વ્હીસલ વગાડીને ટ્રેન ઉપડે એમ ઘર-નોકરીની જવાબદારીઓ અને રોજીંદા જીવનની ઘટમાળ આગળ વધતી જાય ને સાથે આપણને પણ લેતી જાય. એ અનિવાર્ય છે પણ આવી ઘટનાઓ આપણને વધારે વિનમ્ર, વધારે માનવીય અને વધારે સંવેદનશીલ બનાવતી જાય એવું બને. આપણે એટલા “સ્વાર્થી” તો જરૂર બનીએ કે આપણી આસપાસના લોકોને બિનશરતી પ્રેમ, હાસ્ય, આર્થિક/શૈક્ષણિક/સામાજિક મદદ, non-judgemental થઈને સાંભળતા કાન, રડવા માટે ખભો અને મખમલી સ્મૃતિઓ આપીને જઈએ તો આપણે હસતા-હસતા અલવિદા કહીએ ને એ ભલે પાછળ રોયે રાખે... હેં ને?

ઘણું કહેવું છે પણ... એક્ટર ઈરફાને એના આખરી સંદેશમાં કહ્યું એમ:- “Be kind to everyone.” Ego ને અભેરાઈએ ચડાવીને, થોડું સહન કરીને પણ બસ પ્રેમ કરીએ. જાતિ, ધર્મ, લિંગ, પ્રદેશ, વિચારના ભેદભાવ ભૂલીને બસ બધા સ્વજનોને અને સજ્જનોને ચાહીએ અને ન ચાહી શકીએ એવા દુર્જનોને ignore કરીએ. હું આ બધું કરી શકું છું ને કરું છું એવું કહેવાનો આશય બિલકુલ નથી જ. અલબત્ત, કદાચ આ લખાણથી હું સ્વયંને પણ સમજાવું છું. પ્રિય મોરારિબાપુએ આ વાતને એક સુંદર સૂત્રમાં પરોવી આપી છે તેનાથી અટકીએ:-

“સત્ય, પ્રેમ, કરુણા”

જય સિયારામ. જય નાગનાથ મહાદેવ

-    ડૉ. જય મહેતા

 

 

 

 

 

  

 

  

 

 

 

 

 

Wednesday, August 2, 2023

Rendezvous with Raj Goswami @ Countryside School, Surat


 “There is no such thing as a child who hates to read; there are only children who have not found the right book. —Frank Serafini”

We are living in quite an interesting time. It’s a time of transition, commotion, confusion and creativity. It’s a time of enormously evolving technology and a sea change in lifestyle. Gone are the days when elders would read for hours and complete a volume of say 900 pages in a few days. Fortunate are the ones who get to live around someone who can boast of having read say complete Dickens, complete Meghani, complete Shakespeare, or complete R.K. Narayana. The Digital Native generation would find it unbelievable as they live in seconds and minutes, not in days and months. 

However, this write up by no means, intends to go on the track of a self-complacent nostalgia trip of “Woh bhi kya din the” type. Kids today have a plethora of options for academics, aesthetics, sports, entertainment and so on. Phones, watches, switchboards and even cities (and sometimes people also) are getting SMARTER nowadays…!!! But what if they can get the best of both worlds? So, who can make it happen?

Amongst the other stakeholders; parents, family, teachers ought to play a major role in the said process. Amidst the hullabaloo of complaints that the kids don’t read and they are addicted to social media and smartphones, there are some torchbearers who still keep the I WILL DO MY BIT approach.

Countryside International School, Surat is, I think, one such institute. Last saturday I got an opportunity to attend an aesthetic event there. The school organized a talk on the magic of reading by my favorite thinker and writer these day Mr. Raj Goswami. Netizens wouldn’t need his introduction. I have seen his Morning Musings being shared on FB & Whatsapp status daily. Many of us prefer to kickstart their days by these enriching and thought-provoking posts. A renowned columnist and translator Raj sir presented to us a panoramic view of his journey of reading and writing.

His talk commenced with a journey down the memory lane. He belonged to a humble, rather marginalized social background. As a secluded, neglected child in society, he preferred to shrink his senses and get lost in his inner world. Books helped him in doing this. At the age of 10, he stepped into the wonderland of books. He also recalled the words from the memoirs of Sartre and I could find it identical as I was also one such odd man out in my school-life. 

However, this social non-existence was a blessing in disguise for Raj sir as he slowly turned into a voracious reader which led him to make a shining career as a writer. He explained that learning any language or reading books from various languages and regions not just enriches us but also makes us more humane, it sensitizes us and it expands the horizons of our thinking. It makes us humble by making us realize the limitations of our knowledge.

Reading and writing both are gymnastics for the brain. Just as body muscles need some sort of exercise everyday, so is the case with the neurons of the brain. Reading, if I can say so, prevents aging of the brain. On being asked about his FB series of Morning Musings, he said that it is a sort of riyaz/net practice/rehearsal for him. Just like meditation, practice in reading and writing helps you in organizing your thoughts. The speaker elucidated his point with an analogy of a traffic police officer on a hectic, crowded traffic signal. One’s role is to regulate and manage his thoughts just as a traffic police officer does but instead we get involved and swayed away in the torrential traffic of our random thoughts.

Social media and smart technology has made us more impatient. We the digital migrants have witnessed the time when a tiny file would take hours to get downloaded but SPEED is the key word in the 5G era.

He also shared his experience of translating Yual Noah Haraari and the challenges he faced during the process. In the Q & A session, he opined on the needless insistence for puritanism of language. One of the key reasons why English has become so globally accepted is that it is a highly lucid and accepting language. It has received words from around the globe and still hundreds of new words are added to the corpus of English language every year. Answering my request to suggest some must read titles, he shared a list of books really worth reading in Hindi. Even I got an opportunity to interact with the audience during and after the session. It was quite an interesting and interactive event.

What I liked the most about this school is their genuine,. Substantial and innovative efforts of orienting their students towards reading. Credit goes to the management, the principal Dr. Sanjay Mehta and his army of dynamic teachers. I was thrilled to know that as many as 17 students of the school got their books published and they are also available for sale on online platforms. Isn’t this amazing?

I must end it with a note of gratitude to the speaker Raj Goswami sir for his satiating talk and the school for organizing such an inspiring event. I recall the immortal words from Shakespere’s Hamlet:-

Hamlet is reading a book.

Polonius: What do you read my Lord?

Hamlet: Words, words. words.

Saturday, August 27, 2022

જોશી દાદા, મને હજી શબ્દો નથી આવડતા!

 


તા.23-08-2022 ને અ-મંગળવારે સાંજે હું મારા પરિવારજનો સાથે હોટેલમાં જમવા ગયો હતો ત્યાં એક વડીલ સજ્જન મળ્યા જેમની સાથે ઔપચારિક વાતમાં એમણે કહ્યું કે મારો દીકરો વિદ્યાનગરમાં ભણીને અત્યારે બોસ્ટનમાં સેટ થયો છે. આ નામ સાંભળીને મારી આંખોમાં ચમક આવી અને મેં કહ્યું કે વિદ્યાનગરની તો વાત જ ન થાય ભાઈ!

રાત્રે ઘરે આવીને આડો પડ્યો ત્યાં એક દોસ્તારનો વોટ્સેપ મેસેજ જોયો:-

“Dr Piyush S. Joshi has departed for the heavenly abode! May God almighty grace his divine soul with eternal peace!🙏🙏

Ohh… Shit…. બસ આટલું બોલી શક્યો અને જોશી દાદાનો ફોટો જોઇને આંખો ધોધમાર વરસવા લાગી. દર્શિતાના સાંત્વનથી થોડો સ્વસ્થ થાઉં એ પહેલા અન્ય એક દોસ્તનો કોલ આવ્યો અને અમે જોશી દાદાની સ્મૃતિવંદના કરી. કેટકેટલી યાદો ધસમસતી આવે છે, ક્યાંથી શરુઆત કરું?

2008માં ભાવનગરથી M.A. કર્યા પછી M.Phil માટે સરદાર પટેલ યુનિવર્સીટીમાં એડમીશન મળતાં વલ્લભવિદ્યાનગર શિફ્ટ થવાનું હતું ત્યારે મારા ખાસ દોસ્ત દેવર્ષિએ મને ફોનમાં કહ્યું કે હું તને જોશી સરનો નંબર મોકલું છું એ તને ત્યાં રૂમ મેળવવામાં મદદ કરશે. મને થયું કે હશે કોઈક સાહેબ કે અધિકારી પણ મને સ્વપ્નેય ખ્યાલ નહોતો કે હું જેનો આજીવન ઋણી રહેવાનો છું એવા એક નિર્દંભ વ્યક્તિ, એક genius નો નંબર હું સેવ કરી રહ્યો છું. (હવે તો દેવર્ષિ અને જોશી સર બંને સાથે બેસીને આ વાંચીને મારા પર સ્નેહ વરસાવતા હશે!) વિદ્યાનગરમાં અભ્યાસ શરુ થયા પછી અનેક વાર દોસ્તારોએ કહેલું કે જોશી સરનો લેકચર ભરવા આવ, ખુબ મજા આવશે ને ખુબ શીખવા મળશે પણ હું નહોતો ગયો, એમ વિચારીને કે હું તો university department માં અભ્યાસ કરું છું તો હું H.M. Patel Institute માં ક્લાસ ભરવા કેમ જઈ શકું? That was so stupid of me! કદાચ પહેલીવાર ઘરની બહાર રહેતો હતો એટલે આમ અચકાટ થતો હશે પણ મને શું ખબર કે હું કેટલો અલભ્ય અવસર ગુમાવી રહ્યો છું!

એક વાર દેવર્ષિ અને અન્ય મિત્રોના આગ્રહથી જોશી સર પાસે ગયો અને મારા ટોપિક Film Adaptation વિષે વાત કરી પછી તો જે જ્ઞાનપ્રવાહ ખળખળ વહેવાનો શરુ થયો અને હું એને મારી નોટ્સ માં ઝીલતો ગયો. એકાદ કલાકના અંતે આખા dissertation નું માળખું તૈયાર થઇ ગયું. હું તો દંગ જ રહી ગયો! એ મુલાકાતથી લઈને મારા રીસર્ચ પેપર્સ, phd thesis સુધી અને આ નોકરીમાં લાગ્યા પછી પણ છેલ્લે બે વર્ષ પહેલા એમને ઘરે મળ્યો ત્યાં સુધી એમણે એમનાં અગાધ અભ્યાસ અને વાચનથી મને હંમેશા પ્રભાવિત કર્યો છે. એક વાર મેં ભાવનગરથી એમને ફોન કર્યો કે એક કોન્ફરન્સમાં મારે પેપર રજુ કરવો છે અને એનો theme આ છે. એ 45 મિનીટ્સ ના કોલમાં એ બોલતા ગયા અને હું લખતો ગયો અને મને almost આખું પેપર તૈયાર થાય એટલું ભાથું મળ્યું. મેં દાદાને અહોભાવ વ્યક્ત કર્યો ત્યારે એમનો જવાબ:-

“આમાં શું છે કે મને કોઈ ઉશ્કેરે નહીં ત્યાં સુધી હું બોલું નહીં!”

English literature, criticism, advertising, ELT, media studies, research methodology, communication, Gujarati fiction…. ચાહે કોઈપણ ક્ષેત્ર હોય, એમનું અજોડ જ્ઞાન અને ભાષાવૈભવ કોઈપણ અભ્યાસુને મુગ્ધ કર્યા વગર રહે જ નહીં. Academics માં ક્યારેક એવો અટવાયો હોઉં કે કોઈનાથી એનું સમાધાન ન મળે ત્યારે મને આ ભિષ્મ પિતામહ જ યાદ આવે અને ત્યાંથી જે મિડાસ ટચ મળે એ અનન્ય હોય, પણ આજે મારે જે વાત ખાસ highlight કરવી છે એ છે એમનો શાંત, સાલસ સ્વભાવ અને વિદ્યાર્થીઓ પ્રત્યેનો અનન્ય પ્રેમભાવ. ગમે એવા મૂંઝાયેલા હોઈએ, એ ખભે હાથ મુકીને કહે:-

“આવ મહેતા, ચાલ ચા પીએ” ત્યારે મનને જે શાતા મળે એ તો જેમણે અનુભવી હોય એ જ સમજી શકે! હું તો ત્યારે ય એટલો નાદાન હતો કે મારી સાવ શીખાઉ કલમે લખાયેલી અને જેને કવિતા જ ન કહી શકાય એવી રચનાઓ પણ એમને વંચાવતો ત્યારે એમનાં ચહેરા પર અણગમાની એકપણ રેખા ન હોય, on the contrary, મને હસીને સૂચનો કરે કે જો આને આમ લખીએ ને તો સારું લાગે. તેં ...... કવિને વાંચ્યા છે? લે, આ બુક લઇ જા ને વાંચજે.” એક પેપરમાં મેં Foray from … લખ્યું હતું ત્યારે એમણે સમજાવ્યું કે foray into લખાય. ઉદાહરણો સાથે એટલે લખું છું કે આજે તેર વરસે પણ એ બધું મને તાદ્રશ થાય છે એ જ દર્શાવે છે કે મારા મનોજગત પર જોશી સર કેટલો મખમલી, શીતળ સ્પર્શ મૂકી ગયા છે!

વિદ્યાનગરમાં અમે સૌ મિત્રો મળતાં ત્યારે સૌથી વધુ mimicry પણ જોશી સરની જ કરતાં અને એ પણ પૂર્ણ આદરભાવ સાથે. જમણા હાથને કોણીથી વાળીને ડોક પર મુકીને બોલવાનો અંદાજ, સમજાવતા હોય ત્યારે ફેલાયેલા હાથ, અને ખાસ તો આપણે આપણું લખેલું કાંઇક વાંચતા હોઈએ ત્યારે આંખો બંધ કરીને ગાલ પર હાથ મુકીને ધ્યાનપૂર્વક સાંભળતા હોય એ દ્રશ્યો હજી નજરે તરે છે.

આજે મારું જે થોડુંઘણું લેખન કૌશલ્ય વિકસી શક્યું છે એમાં ખુબ મોટું પ્રદાન જોશી દાદાનું રહ્યું છે. એ કહેતા:- “આમાં શું છે, કે શબ્દો આવડવા જોઈએ, હેં!” એ એમ પણ કહેતા કે તમને કોઇપણ વાત કહેવી હોય તો બસ એક શબ્દ છે nice અથવા fine. આ ફિલ્મ કેવી લાગી? તો કે nice, એ માણસ તરીકે કેવા છે? Nice. આ વાનગી કેવી છે? Nice. તો ભાઈ, આમ તો કેમ ચાલશે? આ સાંભળ્યા પછી જ મેં vocabulary પર ખાસ ધ્યાન આપવાનું શરું કર્યું.

જયારે પણ મળીએ ત્યારે કોઈક સારું પુસ્તક વાંચતા હોય. એ social media માં ક્યાંય નહોતા, કદાચ હું ખોટો ન હોઉં તો smartphone પણ નહોતા રાખતાં તેમ છતાં દુનિયાના કોઈ web resource ન આપી શકે એવો ભંડાર એમની પાસે હતો. આ વાત ખાસ એટલે લખું છું કે મારા વિદ્યાર્થીઓ જે આ વાંચતા હોય તો એમને ખ્યાલ આવે કે વ્યક્તિ ઈન્ટરનેટ વગર પણ અભ્યાસુ બની શકે છે. ખાસ તો આ સંદીપ મહેશ્વરી generation ને મન પુસ્તક વાચનનું ખાસ મૂલ્ય રહ્યું હોય એવું લાગતું નથી ત્યારે આ વાત એક શિક્ષક તરીકે કહેવાની જરૂર લાગે છે.

વિદ્યાર્થીઓને પોતાના નામે libraryમાંથી અને અંગત સંગ્રહમાંથી અનેક પુસ્તકો આપતા અને ક્યારેય પરત મેળવવાનો ઈશારો પણ નહોતા કરતાં. આ તબક્કે એ યાદ આવે છે કે એકવાર અન્ય એક સાહેબે પોતાના ઘરે જે પુસ્તક હતું એના વિષે વાત થઇ તો મને ચોખ્ખું કહ્યું હતું:- “આ book મારી પાસે છે પણ હું તને આપીશ નહીં.” હશે ભાઈ...!! અને જોશી દાદાની books તો હજીય મારી personal library શોભાવે છે.

એક દોસ્તારે કાલે સરસ વાત કરી કે જોશી દાદા અજાતશત્રુ હતા, એમનાં વિષે ક્યારેય કોઈએ સહેજ પણ ઘસાતું કહ્યું હોય એવું મને યાદ નથી. એમનામાં કોઈ જાતિ, ધર્મ, લિંગ, પ્રદેશ કે અન્ય કોઈ પ્રકારના discrimination ક્યારેય શોધ્યા જડે એમ નહોતા. Simple Living and High Thinkingનું અણીશુદ્ધ ઉદાહરણ એટલે ડૉ. પીયુષ જોશી સર. International conference માં વક્તાઓ અને અભ્યાસુઓ સુટ-બુટમાં ફરતા હોય, સેલ્ફી લઈને પોસ્ટ કરતાં હોય ત્યારે આ માણસ સાદા શર્ટ-પેન્ટ, ચપ્પલમાં આવે પણ બોલવાનું શરુ કરે એટલે ભાષા-સાહિત્યના વિશ્વરૂપ દર્શનનો લ્હાવો મળે!

આટલું encyclopaedic knowledge હોવા છતાં એક છાંટોય અહંકાર નહીં. એમની વિનમ્રતા અને low profile personality જોઇને કોઈ અજાણ્યાને તો ખ્યાલ પણ ન આવે કે આ English Literature ની હરતીફરતી university છે. મારી કારકિર્દીમાં એમનાં જેવા જે કેટલાંક પ્રોફેસર્સ મળ્યાં એમને જોઇને જ હૃદયમાં એક સ્વપ્ન રોપાયું હતું કે હું MA (English) માં ભણાવું. જો કે, હાલ તો ડિપ્લોમા કક્ષાએ સાદો ભૂતકાળ ને સાદો વર્તમાનકાળ ભણાવું છું એ મારી નિયતિ છે પણ એ આખો અલગ વિષય છે.

આજકાલ એક બીમારી બહુ ફેલાઈ છે:- મોટીવેશનલ ટોક. મને ઘણી વાર વિદ્યાર્થીઓ પૂછે કે તમારી પાસે કોઈ મોટીવેશનની બુક છે? ત્યારે મને કહેવાનું મન થાય કે જરા આંખો ખોલીને આસપાસ જોવો તો ક્યાંક તમને એવી વ્યક્તિઓ મળશે જે પોતાના જીવન અને કર્મ દ્વારા શ્રેષ્ઠ મોટીવેશન આપતી હોય છે. Youtube માં YOU CAN DO IT ના બરાડા પાડ્યા વગર, views, likes, comments ના સરવાળા કર્યા વગર પણ પોતાના ક્ષેત્રમાં સર્વોત્તમ બની શકાય છે એ અત્યારની પેઢીને કોણ સમજાવશે?

અમારી જમાતમાં એવા શિક્ષકો પણ છે કે જેના કપાળ પર grade pay નું એક અદ્રશ્ય tattoo હોય અને એ smile પણ આપણા પર ઉપકાર કરતાં હોય એમ કરે, જમીનથી બે ફૂટ ઉપર ચાલતા હોય, સતત increment, LTC, DA ની જ ચર્ચામાં રત રહેતાં હોય.... એવા માહોલમાં જોશી સર જેવા શિક્ષકો વિષે વિચારીએ તો એમ થાય કે સુરજ કી ગરમી સે જલતે હુએ તન કો મિલ જાયે તરુવર કી છાયા...!!

જોશી દાદાને હું છેલ્લે બે વર્ષ પહેલા મળ્યો હતો ત્યારે ઘણું માર્ગદર્શન મળ્યું હતું. આજે સૌથી મોટો અફસોસ એ જ છે કે હું એકવાર એમને મળી લેવા માંગતો હતો એ ન થયું. જીવનકી આપાધાપી મેં કબ વક્ત મિલા... સાથે એમ પણ થયું કે આપણે જે આ પ્રકારના પોતપોતાના વડલાઓ હોય એમની શીતળ છાયા મળે એટલી માણી લેવી જોઈએ, પછી ક્યારેક આદિલ સાહેબ કહે છે એમ “એ હસતા ચહેરા, એ મીઠી નજર મળે ન મળે”. આનંદ બક્ષીના શબ્દો મનમાં પડઘાય છે:-

सुबहो आती है, रात जाती है

सुबहो आती है, रात जाती है यूँ ही

वक़्त चलता ही रहता है रुकता नहीं

एक पल में ये आगे निकल जाता है

आदमी ठीक से देख पाता नहीं

और परदे पे मंज़र बदल जाता है

एक बार चले जाते हैं जो दिन-रात, सुबहो-शाम

वो फिर नहीं आते...

આટલું લખ્યું તોય મારી લાગણી યોગ્ય રીતે અભિવ્યક્ત કરી શક્યો નથી એવું લાગ્યા કરે છે. જોશી દાદા, તમે સાચું જ કહેતા હતા કે “શબ્દો આવડવા જોઈએ...” આ જુઓ ને, મને તો હજીય શબ્દો આવડતા નથી! પ્લીઝ, પાછા આવો ને, ચા પીતા પીતા creative writing સમજાવવા માટે...!!!

જો કે, મને ખ્યાલ છે કે આ શક્ય નથી અને યોગ્ય પણ નથી. ક્યારેક સ્વાર્થને બાજુ પર મુકીને વિચારીએ તો એમ થાય કે આ દુઃખ અને દંભની દુનિયામાંથી જે જાય છે એ સુખી થઇ જાય છે.

તો બસ.... સરના સ્નેહાળ અને સુંદર આત્માને આખરી અલવિદા! આપ અમારી સ્મૃતિઓમાં સદૈવ જીવિત રહેશો. Rest in memories dear Sir!